આઝાદ હિંદ ફોજ
આઝાદ હિંદ ફોજ એ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય રાષ્ટ્રવાદી રાસબિહારી બોઝ અને મોહનસિંહ દેવ દ્વારા સ્થાપિત એક સશસ્ત્ર દળ હતું જેનો મુખ્ય ઉદ્દેશ બ્રિટીશ શાસનથી ભારતની આઝાદી મેળવવાનો હતો. આ દળની રચના ભારતીય રાષ્ટ્રીય સેના (INA) તરીકે ૧૯૪૨માં મલાયા, ઉત્તર બોર્નિયો અને જાપાન આધીન સારવાકમાંથી પકડાયેલા દ્વિતીય વિશ્વયુદ્ધના ભારતીય યુદ્ધકેદીઓને સામેલ કરીને કરવામાં આવી હતી.[1]આ જ વર્ષે જાપાન યુદ્ધમાં ભારતીય રાષ્ટ્રીય સેનાની ભૂમિકા અંગે જાપાની અને ભારતીય નેતૃત્ત્વમાં મતભેદને પગલે ડિસેમ્બર માસમાં તેનું વિઘટન કરવામાં આવ્યું હતું. રાસબિહારી બોઝે સેનાનું નેતૃત્ત્વ સુભાષચંદ્ર બોઝને સોંપી દીધું. સુભાષચંદ્ર બોઝના નેતૃત્ત્વમાં સેનાનું આઝાદ હિંદ ફોજ તરીકે પુનર્ગઠન કરવામાં આવ્યું હતું.[2] ૧૯૪૩માં સુભાષચંદ્ર બોઝ દક્ષિણ એશિયા પહોંચ્યા બાદ સેનાને આરજી હકૂમત–એ–આઝાદ–હિંદ (સ્વતંત્ર ભારતની અંતરિમ સરકાર) તરીકે ઘોષિત કરી.[3] બોઝના નેતૃત્ત્વમાં આઝાદ હિંદ ફોજે મલાયા (હાલ મલેશિયા) તેમજ બર્માના બિનનિવાસી ભારતીયો અને ભારતીય મૂળના વ્યક્તિઓ તેમજ નાગરિક સ્વયંસેવકોને આકર્ષિત કર્યાં.[4] આ દ્વિતીય INAએ બ્રિટીશ તેમજ રાષ્ટ્રમંડળ વિરુદ્ધ બર્મા અભિયાન, કોહિમાની લડાઈ, ઇમ્ફાલની લડાઈ ઉપરાંત દ્વિતીય વિશ્વયુદ્ધના સૈન્ય અભિયાનોમાં જાપાની ઇમ્પીરીયલ સેનાનો સહયોગ કર્યો.[5]
આઝાદ હિંદ ફોજ | |
---|---|
સક્રિય | ઓગસ્ટ ૧૯૪૨ – સપ્ટેમ્બર ૧૯૪૫ |
દેશ | ![]() |
ભાગ | ગેરિલ્લા, પાયદળ, ખાસ સેના |
કદ | ૪૩,૦૦૦ (અંદાજીત) |
યુદ્ધ ઘોષ | ઇત્તેહાદ, ઇત્માદ ઔર કુર્બાની |
March | કદમ કદમ બઢાયે જા |
યુદ્ધો | બીજું વિશ્વ યુદ્ધ
|
સેનાપતિઓ | |
Ceremonial chief | સુભાષચંદ્ર બોઝ |
સ્થાપના
દક્ષિણ–પૂર્વ એશિયામાં જાપાનને બ્રિટીશ શાસન વિરુદ્ધ એક પછી એક સફળતાઓ મળી રહી હતી. પરીણામે ઘણા ભારતીય સૈનિકો યુદ્ધકેદી બની ગયા હતા. ફેબ્રુઆરી ૧૯૪૨માં સિંગાપુરના પતન બાદ જાપાને લગભગ ૪૦,૦૦૦ જેટલા ભારતીય સૈનિકોને યુદ્ધકેદી તરીકે પકડ્યા હતા. જાપાની સેનાએ આ યુદ્ધકેદીઓને મલાયા હુમલા બાદ આત્મસમર્પણ કરનારા કેપ્ટન મોહનસિંઘને સોંપી દીધા. સામે પક્ષે બ્રિટનની હારથી ઉત્સાહિત ભારતીય સૈનિકોએ વળતા હુમલા માટે ભારતીય સ્વતંત્રતા લીગની રચના કરી. લીગના આયોજક ભારતીય રાષ્ટ્રવાદી રાસબિહારી બોઝ હતા જે ૧૯૧૫માં જાપાન ભાગી ગયા હતા અને તેમનો મુખ્ય ઉદ્દેશ ભારતની સ્વતંત્રતા માટે ભારતીય સમુદાયને એકજૂટ કરવાનો હતો.
ટોકયો સંમેલન
સૈન્ય અને નાગરિક ભારતીય અધિકારીઓ જાપાની હાઇકમાન્ડને મળવા ટોકયો તરફ રવાના થયા. ટોકયો સંમેલનમાં નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા:
- ભારતીય સ્વતંત્રતા લીગનો વિસ્તાર અને સશક્તિકરણ.
- લીગની કમાન હેઠળ ભારતીય સ્વતંત્રતા માટે ભારતીય રાષ્ટ્રીય સેનાનું ગઠન, અને
- આ નિર્ણયોના એકીકરણ માટે બેંગકોક ખાતે દ્વિતીય સંમેલનનું આયોજન.
બેંગકોક સંમેલન
બેંગકોક સંમેલન ૧૫થી ૨૩ જૂન સુધી આયોજીત કરાવામાં આવ્યું હતું. સંમેલનમાં મલાયા, સિંગાપુર, થાઈલેન્ડ, બર્મા, હોંગકોંગ, મનીલા તેમજ જાવા તરફથી ૧૫૦થી પણ વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સંમેલનમાં સુભાષચંદ્ર બોઝને ભારતીય સ્વતંત્રતા લીગમાં સામેલ કરવા તથા લીગનું સુકાન સંભાળવા જાપાન આમંત્રિત કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. ૧ સપ્ટેમ્બર ૧૯૪૨ના રોજ ઔપચારીક રીતે સ્થાપિત ભારતીય રાષ્ટ્રીય સેના (INA)માં હજારો ભારતીય સૈનિકો સામેલ થયાં. રાસબિહારી બોઝની અધ્યક્ષતામાં એક કાર્યકારી પરિષદનું ગઠન કરવામાં આવ્યું. મોહનસિંહે ભારતીય રાષ્ટ્રીય સેનાના કમાન્ડર–ઇન–ચીફનો પદભાર સંભાળ્યો. જાપાન સરકારે INAને હથિયાર, ઉપરાંત દરિયાઇ અને હવાઇ જહાજ પૂરા પાડ્યા હતા.
ભારતીય રાષ્ટ્રીય સેના(INA)ના ઉદ્દેશો
સુભાષચંદ્ર બોઝ બેંગકોક સંમેલનના નિમંત્રણનો સ્વીકાર કરી ૧૩ જૂન ૧૯૪૩ના રોજ જર્મની છોડી જાપાન પહોંચ્યા. રાસબિહારી બોઝે સેનાનું નેતૃત્ત્વ સુભાષચંદ્ર બોઝને સોંપી દીધું. ૫ જુલાઇના રોજ સુભાષે INAની સલામી ઝીલી. ૨૬ ઓગસ્ટ ૧૯૪૩ના રોજ તેઓ સેનાના અધિકારીક કમાન્ડર–ઇન–ચીફ બન્યા. તેમણે સેનાને સંબોધિત કરતાં કહ્યું કે, "આઝાદ હિંદ ફોજ સ્ટીમ રોલર જેવી હોવી જોઇએ. નવી દિલ્હીના વાઇસરોય ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકતો ન થાય ત્યાં સુધી આપણે લડાઈ ચાલુ રાખવાની છે."
સંદર્ભ
- Lebra 2008, Foreword, pp. viii–x
- Sisir K, Bose (Summer 2018). "The Alternative Leadership Subhas Chandra Bose". The Alternative Leadership Subhas Chandra Bose. 10.
- Fay 1993, pp. 212–213
- Lebra 2008, p. xv
- Fay 1993, p. 330
સંદર્ભસૂચિ
બાહ્ય કડીઓ
- નેતાજી સુભાષચંદ્ર બોઝ તેમજ આઝાદ હિંદ સેના વિશે માહિતી આપતી વેબસાઇટ
- From Banglapedia
- Article on Bose
- Speeches of Netaji
- Centre of South Asian Studies, University of Cambridge
- Centre of South Asian Studies, University of Wisconsin
- Mystery behind Netaji's Disappearance – 2
- BBC Report: Hitler's secret Indian army